Shailesh Parekh
કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ. બુદ્ધદેવનો જ્યારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે રવીન્દ્રનાથ બંગાળના સાહિત્ય જગત ઉપર જ નહીં, સમગ્ર જગત ઉપર છવાઈ ગયા હતાં એમ કહેવામાં અનૌચિત્ય નથી. વીસમી સદીમાં જન્મેલા અને તત્કાલીન સમયના ઐતિહાસિક ઘટનાક્રમથી અને પરિવર્તનશીલ આદર્શોથી રંગાયેલા લેખકોમાંના અગ્રગણ્ય બુદ્ધદેવ, રવીન્દ્રનાથના સર્વવ્યાપી વ્યક્તિત્વથી પ્રભાવિત તો હતાં, પણ સાથે સાથે તેમનાં અતિપ્રબળ પ્રભાવથી મુક્તિ પણ ઇચ્છતા હતાં. આ દ્વન્દ્વનું પ્રાથમિક પરિણામ પ્રતિકાર અને અંતે સન્માનનીય સમાધાન અને સંપૂર્ણ સ્વીકાર.
૧૯૬૨ના માર્ચમાં તત્કાલીન બૉમ્બે યુનિવર્સિટીના નિમંત્રણથી રવીન્દ્ર-જન્મ-શતાબ્દી નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો ‘ટાગોર: પૉર્ટ્રેટ ઑફ અ પોએટ’ શીર્ષક હેઠળ પ્રગટ થયાં હતાંં. તેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. કવિ રવીન્દ્રનાથનું આટલું ગહન (છતાં સંક્ષિપ્ત!) વિશ્લેષણ અન્યત્ર જોવામાં આવ્યું નથી. અહીં રવીન્દ્રનાથના કાવ્ય સાહિત્યના જાણકાર માટે એક નવી દિશા ખૂલી જાય છે અને આગંતુક માટે રવીન્દ્રનાથના કાવ્ય સાહિત્ય માટેની જિજ્ઞાસા.