Rajendra Patel
કવિ રાજેન્દ્ર પટેલનો ‘એક શોધપર્વ’ પછીનો આ પાંચમો કાવ્યસંગ્રહ એના નામમાં રહેલા વિષયને લઈને વિશિષ્ટ ભાત પાડે છે. કવિ કહે છે, “આ કાવ્યસંગ્રહમાં પરંપરાનો મહિમા છે, જેને લીધે મારું અસ્તિત્વ ઉત્ક્રાંત થતું રહ્યું છે. મારી સંવેદના અને સમજ, મારાં ચિત્તચિત્રો અને શબ્દચિત્રો બધુંય અહીં અભિવ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે.” એથી કવિના બાપુજીનું જે લાગણીભીનું શબ્દચિત્ર રચાયું એ ભાવકોને પોતપોતાના, બાપુજી સાથેના, ભાવજગત સાથે જોડી આપે છે. બાપુજીની છત્રીમાં પડેલાં કાણાંમાંથી વાછંટરૂપે ટપકતો વરસાદ કે તડકો બાપુજીના વહાલથી તર-તરબોળ કરી દે છે એ રૂપક, એ ભાવચિત્ર કેટલું મનોહર છે! આ ઉપરાંતનાં બા, બિલાડીનાં ભાવપૂર્ણ કાવ્યચિત્રો ભાવકને આનંદ આપનારાં છે.