Bhavin Gopani
જેમની બાનીમાં ‘આધુનિકતાય છે અને પરંપરા સાથે પણ મજબૂત સંબંધ છે’ એવા યુવા ગઝલકાર ભાવિન ગોપાણીની પસંદગીની 108 ગઝલોના સંગ્રહ ‘અગાશી’માં સરળ ભાષામાં ‘અલંકારોના કે પંડિતાઈના ઘટાટોપ વગર’ ગઝલો લખાઈ છે. ભાષા સરળ હોવા છતાં એમની કાવ્યબાનીમાં જીવન વિશેનું ઊંડું દર્શન ઝિલાયું છે. સંગ્રહની પ્રસ્તાવનામાં રઈશ મનીઆર નોંધે છે : “કવિ ભાવિન ગોપાણી મોટે ભાગે સંયત સ્વરે વાત કરે છે. કદી સ્કૅપ્ટિકલ કે સિનિકલ થતા નથી. જીવન-મરણ, સુખ-દુ:ખ બધાં દ્વંદ્વોને સમાન અંતરે રહી નિહાળે છે, છતાં છેવટે જીવનતરફી, હકારતરફી રહે છે.” “આખી સફરમાં એ જ વધારે ગમી ગયા / રસ્તામાં જે વળાંક બહુ જોખમી ગયા”; “ઈશ્વરે ઇચ્છા કરી જો બેસવાની / ગોખલાના પથ્થરે વાંધો ઉઠાવ્યો” જેવા શેર ભાવકને મુશાયરાનો સાક્ષાત્કાર કરાવશે.